Saturday, November 5, 2016

ચાંદા-સૂરજના મહેલ: ખંડહર બચે હુએ હૈં, ઈમારત નહીં રહી


મહેમદાવાદના વતની હોવા છતાં, મહેમદાવાદમાં વરસો સુધી રહેવા છતાં અને મહેમદાવાદ છોડ્યા પછી પણ ત્યાંનો જીવંત સંપર્ક હોવા છતાં ચાંદા-સૂરજના મહેલ વિશે સાંભળેલું બહુ, કદી તેની મુલાકાત લેવાનું બન્યું નહોતું. શાળામાં ક્યારેક મારું ગામ વિશે લખતાં તેનો ઉલ્લેખ જોવાલાયક સ્થળ તરીકે કર્યો હોય એટલું જ. કદી તેને જોવા જવાનો વિચાર નહીં આવેલો. ટ્રેનમાં અમદાવાદથી આવતાં વાત્રક નદીના પુલ પર જમણી તરફ દેખાતાં ખંડેર ચાંદા-સૂરજના મહેલ હોવાની ખબર હતી. ક્યારેક કોઈ મિત્ર આગળ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પણ ત્યાં કશું નથી જેવો જવાબ મળતાં વિચાર માંડવાળ કરી દેવાયો હશે.
**** **** ****

મહેમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદના ઉલ્લેખ વિના કરી ન શકાય. મહેમદાવાદના ઈતિહાસ વિશે મહેમદાવાદ: એક અધ્યયન નામના નાનકડા પુસ્તકમાં ભાઈ મહંમદ મુસ્તાકે ટૂંકમાં માહિતી જણાવી છે. એ મુજબ ગુજરાતમાં મહંમદશાહ નામના કુલ ત્રણ રાજાઓ થઈ ગયા. તેમાં સૌથી પરાક્રમી અને જાણીતો સુલતાન એટલે મહેમૂદશાહ. તેનું મૂળ નામ ફતેહખાન હતું. ચૌદ વર્ષની વયે તે નાસીરૂદ્દીન દુનિયા વઉદ્દીન અબુલ ફતાહ મહેમૂદશાહ નામ ધારણ કરીને ઈ.સ. ૧૪૫૮માં તખ્ત પર બિરાજમાન થયો. જૂનાગઢ અને પાવાગઢ નામના બે મહત્ત્વના ગઢ જીત્યા હોવાથી તે મહેમૂદ બેગડો તરીકે ઓળખાયો.

અમદાવાદથી દક્ષિણે વાત્રક નદીને કાંઠે તેણે એક નગર વસાવવાનું નક્કી કર્યું અને પોતાના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામને આ કામ સોંપ્યું. આમ, ઈ.સ. ૧૪૬૫માં મહેમદાવાદ નગર વસાવવામાં આવ્યું. અલબત્ત, આગળ જતાં મહેમદાવાદ પર સુલતાન શાહુદ્દીન મહેમૂદે (ત્રીજા) પણ રાજ્ય કર્યું.
મહેમદાવાદ એક જમાનામાં ગુજરાતનું પાટનગર રહી ચૂક્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. એ બધી વાતોમાં ઊંડા ન ઉતરીએ તો પણ મહેમદાવાદમાં આજે ઘણી જર્જરીત ઈમારતો તેના એક જમાનાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, જેમાંની મોટા ભાગની જીર્ણશીર્ણ અવસ્થામાં છે.
**** **** ****
થોડા વખત અગાઉ મહેમદાવાદ રહેતા મિત્ર નિલેશ પટેલે ફેસબુક પર ચાંદા-સૂરજના મહેલની પોતે લીધેલી મુલાકાતની તસવીરો મૂકી. એ જોયા પછી તેની સાથે ફોન પર વાત થઈ એટલે તેણે જણાવ્યું કે હવે ચાંદા-સૂરજના મહેલ સુધી જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

ફરી પેલું કુતૂહલ સળવળી ઉઠ્યું અને તેની મુલાકાત લેવાના મનસૂબા ઘડાતા રહ્યા. આખરે આ દિવાળીની રજાઓમાં ત્યાં જવું એમ નક્કી કર્યું. આજે જઈશું, કાલે જઈશુંમાં એ ઠેલાતું રહ્યું. મારી ઈચ્છા ઈશાનને લઈને ત્યાં જવાની હતી. પણ એ શક્ય ન બન્યું. દરમિયાન બિનીત મોદીને મહેમદાવાદ આવવાનું બન્યું અને અમે બન્નેએ એકલા ત્યાં જવાનું નક્કી કર્યું.

રેલ્વેના ક્રોસિંગને ઓળંગ્યા પછીનો આખો વિસ્તાર મારા માટે અજાણ્યો હતો. એક બે વસાહતો પાર કરીને આખરે અમે ત્યાં પહોંચ્યા ખરા. એ સ્થળનું તસવીરી વર્ણન. 

મહંમદ મુસ્તાકના પુસ્તક અનુસાર ચાંદા-સૂરજનો મહેલ ઈ.સ.૧૫૪૬માં બનાવવામાં આવ્યો હતો. આ સિવાય બીજી માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ બની શકી છે. 

વચ્ચોવચ દેખાતી આ કેડીની બન્ને બાજુએ બે મહેલોના ખંડેર છે, જેની બહારની દિવાલો જોઈ શકાય છે. ઢાળ ચડતો આ રસ્તો આગળ જતાં ઢાળ ઉતરે છે અને નદીના પટ તરફ જાય છે. 



કેડીની જમણી તરફ નજીકની દિવાલ ઓછી ખંડીત છે.


કેડીની જમણી તરફ છેક સામા છેડે તૂટેલી આ દિવાલ જોઈ શકાય છે. ક્યારેક અન્ય દિવાલો તેમજ અંદરનાં ખંડો હોવાની સાબિતી પથ્થર જેવી સામગ્રીના બનેલા ભોંયતળીયા જોવાથી મળે છે.


સામે દેખાતી આ દિવાલમાં ગોખલા, તૂટેલી કમાનો વગેરે જોઈ શકાય છે. 


ફક્ત ઈંટોની બનેલી દિવાલમાં દેખાતા ગોખલા મહેમદાવાદનાં અન્ય મુસ્લિમ સ્થાપત્યની શૈલી 
મુજબના છે. 


આ દિવાલ પૂરી થાય ત્યાંથી નીચે સીધી વાત્રક નદી નજરે પડે છે. 


થોડે દૂર રેલ્વેબ્રીજ પણ જોઈ શકાય છે, જ્યાંથી અમદાવાદ તરફ જતી-આવતી ટ્રેનોની અવરજવર રહે છે.


હવે કેડીની ડાબી તરફની દિવાલનો ભાગ.
આ દિવાલ શરૂ થાય એ અગાઉ તેની પડખે કાટખૂણે એક કેડી છે. એ કેડીના છેડે બીજી દિવાલ છે, જે મહેલના ડાબી બાજુના વિસ્તારનો અંદાજ આપે છે.


આ છે ડાબી તરફના હિસ્સાની છેવાડાની દિવાલ.


અહીં અમુક ભોંયરા પણ છે એમ જાણવા મળ્યું, પણ ઝાડીઝાંખરાને કારણે તે પૂરાઈ ગયા હોય એમ લાગે છે. મહેલની દિવાલો પૂરી થાય ત્યાં લીલા રંગની એક ધજા દેખાઈ. 


ઢાળ ઉતરતાં જણાયું કે ત્યાં એક દરગાહ છે. અહીં સેવા આપી રહેલા મહેમદાવાદના સજ્જન શ્રી રહેમતુલ્લા પઠાણે અમને દરગાહ જોવા માટે બોલાવ્યા. આ દરગાહ હઝરત ચાંદ સૈયદ બાવાની છે. તેઓ મહેમૂદ બેગડાના સલાહકાર હતા એમ કહેવાય છે.તેમની સાથે વાતોમાં જાણવા મળ્યું કે અહીં મહોરમ પછીના અઠવાડિયે મોટો ઉર્સ ભરાય છે અને દસ-પંદર હજાર મુલાકાતીઓ અહીં આવે છે. એ સમયે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અને મહેમદાવાદનું એક સેવાભાવી જૂથ આ તમામ વ્યવસ્થા સંભાળે છે.




વાત્રક નદીને બિલકુલ કાંઠે ઉંચાણમાં બનાવેલા આ કિલ્લાનું સ્થળ આજે પણ અદ્‍ભુત લાગે છે. તે બનાવાયો એ વખતે કેવું રમણીય હશે એનો અંદાજ આજે પણ આવી શકે છે. 



વર્તમાન પ્રણાલિ મુજબ અમે જાતે આ સ્થળની મુલાકાત લીધી હોવાના પુરાવારૂપે સ્વછબિ લઈને વિદાય લીધી. 
(ડાબેથી) બીરેન કોઠારી અને બિનીત મોદી 

(શિર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર) 

5 comments:

  1. એ પુલ પરથી હજારો વાર પસાર થયો હોઈશ, પણ આ વાતની ખબર જ નહોતી. દિલી આભાર.

    ReplyDelete
  2. Nice, As per my knowledge... I think one 'Bhammariyo Kuvo' is also there !!! Got any idea.??
    ...and next ...what about "Siddhi Vinayak" a new great temple in Mehmedabad??

    ReplyDelete
  3. આટલું રોચક તસ્વીરી વર્ણન વાંચ્યા પછી એક વાર જાતે જોવાની ઈચ્છા સળવળી ઉઠી છે.

    ReplyDelete
  4. આપણી આસપાસનું જ આપણે કેટલું નથી જાણતાં હોતાં તેનો એક વધારે સચોટ દાખલો.
    અમને પણ સૈર કરાવવા બદલ આભાર. મજા પડી ગઈ.

    ReplyDelete
  5. સરસ રજૂઆત . મહેમદાવાદ ના તો સ્ટ્રીટ ડોગના પીક પણ ગમે . બન્ને બ્રો ને અભિનંદન . લોંગ લીવ . સર

    ReplyDelete