Wednesday, November 16, 2016

લાકડીના બન્ને છેડે ગાંધી


ગાંધીજીના પ્રપૌત્ર કનુ ગાંધીનું ૭ નવેમ્બર, ૨૦૧૬ને સોમવારના રોજ અવસાન થયું. જુહુના સાગરતટે ગાંધીજીની લાકડીને છેડેથી પકડીને ચાલતા બાળક કનુ ગાંધીની આ તસવીર વિશ્વપ્રસિદ્ધ છે. એ રીતે જોઈએ તો આ તસવીર કેવળ તસવીર ન બની રહેતાં એક પ્રતીક સમી બની રહી છે.


આ તસવીરમાંની વ્યક્તિઓ અને ચીજો એ હદે જાણીતાં બની રહ્યાં છે કે તેના આધારે અનેક કાર્ટૂનિસ્ટોએ વખતોવખત કાર્ટૂનો ચીતર્યાં છે, જેમાં ક્યારેક લાકડી બદલાય છે, ક્યારેક તેને પકડનાર, ક્યારેક તેને દોરનાર, તો ક્યારેક બધા જ. આમ છતાં, જે કહેવું છે તે કહેવાઈ જાય છે. 
અહીં કેટલાક એવાં કાર્ટૂનો એક સાથે મૂકેલાં છે, જે આ તસવીરના કથાવસ્તુ પર આધારીત છે, પણ દોરાયાં છે જુદા જુદા કાર્ટૂનિસ્ટો દ્વારા, જુદી જુદી ઘટનાઓ પર, જુદે જુદે સમયે.

અબુ અબ્રાહમે દોરેલા આ કાર્ટૂનમાં એ સમયગાળાની વાત હોય એમ લાગે છે, જ્યારે નેતાઓ હજી ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આચરતાં ડરતા હતા. 


કેશવનું ધ હિન્‍દુમાં પ્રકાશિત થયેલું આ કાર્ટૂન ધીરેન્‍દ્ર શર્માના એક લેખ સાથે મૂકવામાં આવ્યું હતું. દિલ્હીસ્થિત જે.એન.યુ,ના સાયન્‍સ પોલિસી સેન્‍ટરના ભૂતપૂર્વ વડાએ આ લેખમાં પોતે ક્યારેક ગાંધીમાર્ગે આરંભેલું નિષ્ફળતાને શી રીતે વર્યું તેની વાત કરી હતી. એક સ્થાનિક નેતાએ આ આંદોલનને ટેકો આપવાની તૈયારી દર્શાવી. સ્થળ પર આવીને તેમણે આંદોલનકારીઓને સુરક્ષા કર્મચારીઓ પર કોઈ કારણ વિના હુમલો કરવા જણાવ્યું. આંદોલનકારીઓએ એમ કરવાનો ઈન્‍કાર કર્યો ત્યારે અકળાયેલા નેતાએ કહ્યું, તો પછી થઈ રહ્યું તમારું આંદોલન! આ કાર્ટૂનમાં ગાંધીજીને દોરવાને બદલે લાકડીથી ખેંચીને નેતા ઉગ્રતા તરફ ઢસડી રહ્યા છે. ગાંધીજીના બૅકગ્રાઉન્ડનો શાંત રંગ અને નેતાના બૅકગ્રાઉન્‍ડનો લાલ રંગ તેમજ નેતાના મુખભાવ આ હકીકત સ્પષ્ટ કરે છે. 

કોંગ્રેસમાં ગાંધીજી હતા ત્યારે સ્વદેશીની બોલબાલા હતી. કાળક્રમે કોંગ્રેસનું વિસર્જન થયું, અને મનમોહનસીંઘને દેશના વડાપ્રધાનપદે બેસવાનું બન્યું. આ કાળમાં વિદેશીની બોલબાલા વધી. એ બન્ને કાળનો વિરોધાભાસ કુરીલના આ કાર્ટૂનમાં બતાવવામાં આવ્યો છે. 


 ‘થોમ્મીના નામે કાર્ટૂન ચીતરતા મલયાલી કાર્ટૂનીસ્ટ ડૉ. થોમસના આ કાર્ટૂનનું શીર્ષક છે ગાંધીમાર્ગ’.  કાર્ટૂન સ્વયંસ્પષ્ટ છે. 











થોમ્મીના આ બીજા કાર્ટૂનમાં રાહુલ ગાંધી અને મનમોહનસીંઘને દર્શાવ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 
પોતાની ભૂમિકા વધારે એવા એંધાણ મળ્યાના સમાચાર પર આ કાર્ટૂન આધારીત છે. 


૨૦૧૩ની ગાંધી જયંતિ કંઈક વિશિષ્ટ બની રહી હતી. ભ્રષ્ટ સાંસદોની બરતરફી સૂચવતા વટહુકમનો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો. આ વટહુકમ પાછળ રાહુલના પોતાના પક્ષનો મુખ્ય હાથ હતો. મંજુલે રાહુલ ગાંધીનું આ તોફાન અને તેનાથી મૂઢ થઈ ગયેલા મનમોહનસીંઘ બતાવ્યા છે, અને પાછળ ભીંત પર ગાંધીજી તેમજ કનુ ગાંધીવાળી છબિ પણ બતાવી છે. છબિમાં લાકડી લઈને દોરનાર બાળક અને બહાર અચાનક તોફાની બનીને પકડનારના ગળામાં લાકડી ખોસતા બાળકનો દેખીતો વિરોધાભાસ જોઈ શકાય છે. 

કુરીલના આ કાર્ટૂનમાં ત્યારે અને અત્યારેની શૈલીએ રાજકીય સ્થિતિ દર્શાવી છે. એક જમાનો હતો કે કોંગ્રેસ ગાંધીજીને અનુસરતી. એમ કરવામાં ગૌરવનો ભાવ અનુભવાતો. ઉપલા કાર્ટૂનમાં કોંગ્રેસના માથે દૈવી તેજવર્તુળ બતાવાયું છે. બીજા કાર્ટૂનમાં અત્યારની પરિસ્થિતિ છે. હવે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ભરપૂર કોંગ્રેસ રાહુલ ગાંધીને અનુસરે છે. ગાંધીજીની કેડે લટકતી ઘડીયાળ અને રાહુલના ખિસ્સામાં ડોકાતો મોબાઈલ ફોન બદલાયેલો જમાનો સૂચવે છે. અહીં કોંગ્રેસના માથે શેતાની વર્તુળ દેખાડ્યું છે. બન્ને કાર્ટૂનમાં કોંગ્રેસ અને તેને દોરનારના કદની અદલાબદલી ઘણું બધું કહી જાય છે.


નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્યાને હજી માંડ અઢી વર્ષ થયા છે. કુરીલના આ કાર્ટૂનમાં ક્વીટ ઈન્‍ડીયા મુવમેન્‍ટ (હિંદ છોડો ચળવળ) દરમ્યાન ગાંધીજીની પછવાડે દોરતી કોંગ્રેસ બતાવાઈ છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્‍દ્ર મોદીએ ક્લીન ઈન્‍ડીયા મુવમેન્‍ટ (સ્વચ્છ ભારત અભિયાન)ની ઘોષણા કરી. વિરોધ પક્ષ આપના નેતા અરવિંદ કેજરીવાલે આ અભિયાનને ટેકો જાહેર કર્યો. આપનું પોતાનું નિશાન ઝાડુ છે. ગાંધીચીંધ્યા સ્વચ્છતાના માર્ગે વડાપ્રધાન મોદી ચાલી રહ્યા છે. કોણ કોને દોરી રહ્યું છે એ અસ્પષ્ટ છે, પણ ઝાડુનો સળીઓવાળો ભાગ મોદી પાસે છે, તેથી તેમની પાછળ કેજરીવાલ આવતા જણાય છે. પણ કેજરીવાલના ચહેરાના ભાવ જોતાં જણાય છે કે તેમણે ઝાડુના હાથાને ફક્ત આપવા ખાતર ટેકો આપેલો છે. 

આ કાર્ટૂન તાજેતરનું છે. પાંચસો અને હજારની નોટોને ચલણમાં રદ કરવાના પગલાંની પ્રશંસા કરતા આ કાર્ટૂનમાં પણ બન્ને કાળની પરિસ્થિતિઓ બતાવી છે. દાંડી માર્ચ (કૂચ) વખતે દેશ આખો ગાંધીની સાથે હતો. અત્યારે મોદી દંડા માર્ચ કરી રહ્યા છે. તેમના એક હાથમાં સ્વચ્છતા અભિયાનનું ઝાડુ છે, જે કાળા નાણાંનો કચરો સાફ કરવા માટે છે. બીજા હાથમાં કઠોર નિર્ણયરૂપી દંડો છે. પહેલા ચિત્રમાં અંગ્રેજ સૈનિકો ગાંધીના પગલાને વિસ્મયથી નિહાળી રહ્યા છે. બીજા ચિત્રમાં કેજરીવાલ, લાલુપ્રસાદ, મમતા બેનરજી જેવા નેતાઓ ગભરાયેલા કે ચકિત અવસ્થામાં જોઈ શકાય છે. પાછળ ચાલતા બાળકરૂપી દેશનો પહેરવેશ પણ બદલાયેલો સમયગાળો સૂચવે છે.આ કાર્ટૂન પણ કુરીલનું છે. 



એ કેવળ યોગાનુયોગ છે કે અહીં મૂકેલાં કુલ નવ કાર્ટૂનમાંથી ચાર કાર્ટૂનો કુરીલના છે. 
ગાંધીજી ગયા, અને હવે કનુ ગાંધીએ પણ વિદાય લીધી, પણ આ તસવીર યુગો સુધી કાર્ટૂનિસ્ટોને અવનવાં અર્થઘટનો માટે પ્રેરણા આપતી રહેશે.


(Disclaimer: All the cartoons above are either from personal collection or taken from net which are meant not for any commercial purpose. Breach of copyright, if any may please be brought to this blogger’s notice, and it will be removed at the earliest.

4 comments:

  1. લાકડીને છેડે આટલી બધી ફલસૂફી હશે તે તો એ છેડે ગયા ત્યારે જ સમજાયું.....

    ReplyDelete
  2. તમારું સળીખોર લાકડીકાર્ય બિરદાવીએ છીએ..

    ReplyDelete
  3. બિરેનભાઈ, આવા વિષય ઉપર પણ પોસ્ટ બની શકે અને એ પણ બિલકુલ પ્રસ્તુત, એ અભિનંદનીય છે. આવું ને આવું લાવતા રહો.

    ReplyDelete
  4. અપ્રતિમ સાદરીકરણ!

    ReplyDelete