Saturday, July 7, 2018

...જ્યારે ખુદ હરિપ્રસાદ વ્યાસે લખ્યું: ‘એ હું નથી.’ (1)



 સ્નેહી ભાઈશ્રી બિરેનભાઈ કોઠારી, ઉર્વિશ કોઠારીના સંબોધનથી શરૂ થતું અને અંતે લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં લખેલું એક પોસ્ટકાર્ડ અમારા લુહારવાડ, મહેમદાવાદના સરનામે આવ્યું. પોસ્ટકાર્ડ લખાયાની તારીખ હતી 4 ડિસેમ્બર, 1991.
લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં 
આ સમયગાળો એવો હતો કે અમારા બન્ને સમક્ષ વાંચન તેમજ જૂના ફિલ્મસંગીતનું વિશ્વ ઊઘડી રહ્યું હતું. જૂની ફિલ્મો સાથે સંકળાયેલા ગમતા કલાકારોને મળવા માટે ખાસ મુંબઈ જવાનું અમે શરૂ કરેલું. આ કલાકારોનો ઈન્‍ટરવ્યૂ કરવાનો કે માહિતી  કઢાવવાનો કશો ઊપક્રમ નહીં. બસ, તેમની સાથે બેસીને થોડી વાતો કરવાની, થોડી તસવીરો લેવાની અને તેઓ આપે તો ઓટોગ્રાફ લેવાના. આમ કરવા પાછળ પણ કશો હેતુ નહીં. કેમ કે, લેખન કે પત્રકારત્વમાં આવવાનો વિચાર દૂરદૂર સુધી મનમાં નહોતો. આ સિલસિલો ગમતા કે ન ગમતા લેખકો સાથેના પત્રવ્યવહાર થકી આગળ વધેલો. રજનીકુમાર પંડ્યા સાથે વાચક લેખે પત્રવ્યવહાર કરેલો અને તેઓ પોતાના પ્રકૃતિગત સૌજન્ય વડે અમને પ્રતિભાવ આપતા. તેમને મળવાનું પણ બનેલું અને એ રીતે પાતળો પરિચય કેળવાયેલો. એવે વખતે અમને હરિપ્રસાદ વ્યાસ યાદ આવ્યા. બકોર પટેલ તેમજ ભગાભાઈની વાર્તાઓ અમે કિશોરાવસ્થામાં વાંચેલી, પણ મોટા થતાં તેના સંદર્ભ ઊઘડતા ગયા. એમાં વપરાયેલા ઘણા શબ્દપ્રયોગો અમે વાતચીતમાં સામેલ કરતા. (જેમ કે, નવલશા હીરજી, હાઉસન જાઉસન, ચાટ પાડી જવું, એક આફ્રિકન પાત્ર યુલુ કોબે વગેરે...) આ કથાઓમાં વર્ણવાયેલી પરિસ્થિતિઓ થોડા ફેરફાર સાથે ક્યાંક ને ક્યાંક જોવા મળતી ત્યારે સમજાતું કે લેખકે કઈ હદનું નીરિક્ષણ કર્યું છે. અમને થતું કે આપણે આપણી લાગણી લેખક સુધી પહોંચાડવી જોઈએ.
આ કાર્યક્રમના ભાગરૂપે અમે ક્યાંકથી તેમનું સરનામું મેળવ્યું, જે અમદાવાદમાં બૅન્‍ક ઑફ ઈન્‍ડિયા સોસાયટી, ઉસ્માનપુરાનું હતું. આ સરનામે અમારી લાગણી વ્યક્ત કરતો એક વિસ્તૃત પત્ર લખ્યો, જેમાં સમસ્ત ગુજરાતી વાચકો તેમના કેટલા બધા ઋણી છે એ મતલબનો ભાવ વ્યક્ત કરેલો હતો. એ સમયે ટેલિફોન કરવા માટે પણ એસ.ટી.ડી. બૂથમાં જવું પડતું. આથી બહારના જગત સાથે અમને જોડતી કડી પોસ્ટઑફિસ હતી. પત્ર મોકલ્યા પછી અમે આતુરતાપૂર્વક જવાબની રાહ જોતા હતા. અને ખરેખર થોડા દિવસમાં પોસ્ટકાર્ડ આવ્યું, જેમાં અંતે ‘‘લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં લખેલું. આ વાંચીને અમે રીતસર ઊછળી પડ્યા. ખુદ હરિપ્રસાદ વ્યાસે અમને જવાબ લખ્યો હોય એ જેવીતેવી વાત નહોતી. અમે ઉત્તેજના સાથે પોસ્ટકાર્ડ વાંચવાનું શરૂ કર્યું. અમારો પત્ર મળ્યાની પહોંચ પછી જે વાક્ય લખાયું હતું એ વાંચીને અમને ક્ષણિક નિરાશા થઈ. તેમણે લખેલું: તમને ખબર નહીં હોય કે અમદાવાદમાં હરિપ્રસાદ વ્યાસ સાત છે. તેમાંનો હું ખરો, પણ બકોર પટેલવાળો નહીં.” તેમણે એ માહિતી પણ આપી કે મૂળ જે હરિપ્રસાદભાઈએ બકોર પટેલ લખ્યું તેઓ પંદર વર્ષ પહેલાં અમેરિકામાં ગુજરી ગયા. આજે તે 100 વર્ષ ઊપરના હોત.
હરિપ્રસાદ વ્યાસ: '....પણ 'બકોર પટેલ'વાળો નહીં.' 
હરિપ્રસાદ વ્યાસે પછી પોતાનો પરિચય આપેલો અને પોતે રંગભૂમિ સાથે સંકળાયેલા છે એમ જણાવેલું. પત્રના અંતે તેમણે લખેલું, ચાલો, આ બહાને મળાયું. અમદાવાદ આવો ત્યારે જરૂર મળશો. અમે જે હરિપ્રસાદને પત્ર લખેલો તેઓ પંદર વર્ષ અગાઉ દેવલોક પામ્યા હોવાના સમાચાર જાણીને અફસોસ થયો. પણ આ હરિપ્રસાદ વ્યાસે જે ઉમળકાથી અમને પ્રતિભાવ લખ્યો એ આનંદની વાત હતી. અમે તેમનો આભાર માનતો વળતો પત્ર લખ્યો. થોડો પરિચય અમારો, એટલે કે અમારા શોખનો આપ્યો. હજી અમારી સાવ શરૂઆત હતી, પણ અમે તેમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ જેવા વિદ્વાનોના સંપર્કને લઈને યોગ્ય દિશા મળી છે વગેરે જણાવ્યું. તેમણે આપેલા ઔપચારિક આમંત્રણનો અમે ઔપચારિક સ્વીકાર કરીને ક્યારેક અમદાવાદ મળવા આવીશું એમ પણ લખ્યું. ભૂલથી લખાયેલા આ પત્ર થકી થયેલો સંપર્ક વધુ આગળ શી રીતે વધે? પણ એ આગળ વધ્યો, વધતો રહ્યો.
હરિપ્રસાદ વ્યાસે અમારા જવાબનો પ્રત્યુત્તર તરત જ પાઠવ્યો. તેમને અમારા શોખ કે પ્રવૃત્તિમાં રસ પડ્યો હોય કે પછી અમારી ઉંમર (1991માં મારી ઉંમર 26 વર્ષ અને ઉર્વીશની 20 વર્ષ)ના હિસાબે અમને પ્રોત્સાહિત કરવા માંગતા હોય, પણ તેમણે પ્રોત્સાહક જવાબ લખતાં જણાવ્યું: પ્રથમ તો અભિનંદન આપું છું કે તમે બન્ને સાથે મળીને આવી ઈતર પ્રવૃત્તિમાં રસ ધરાવો છો. સંચય કરેલી વસ્તુ લાંબા ગાળા પછી ખૂબ કામ આપે છે. તેમણે પોતે છેક 1947 થી સ્ટેમ્પસંગ્રહ શરૂ કર્યો હતો અને હજી ચાલુ હતો. એ ઊપરાંત નાટ્યપ્રવૃત્તિને લગતી વિવિધ બાબતોનો સંગ્રહ પણ તેઓ કરતા હતા. જૂનામાં જૂના ભજનો, ફિલ્મી ભજનો, જૂની રંગભૂમિનાં ગીતો પણ તેમણે સંઘર્યાં હોવાનું જણાવ્યું હતું. તેમણે લખેલું, જો કે, ઘણાને આ બાબતમાં કંટાળો આવે કે વડીલોને ન ગમે. પણ (એ) ધીરજ માગે છે. લાંબે ગાળે પછી સાકર જેવી મીઠી લાગે છે. પહેલો પત્ર લખાયાના પંદર જ દિવસ પછી, એટલે કે 19 ડિસેમ્બર, 1991 ના રોજ આ પત્ર લખાયો હતો. અમારા અગાઉના પત્ર થકી તેમણે (ઘણા બધાની જેમ) ઉર્વીશને બદલે ઉર્વશી વાંચી લીધું હશે. તેને લઈને બીજા પત્રમાં તેમણે સંબોધનમાં બન્ને ભાઈ-બહેન લખેલું. આથી તેની સ્પષ્ટતા કરવા માટે આ પત્રનો જવાબ લખવો અમારે જરૂરી થઈ ગયો. અમે તેમનું ધ્યાન દોરતો અને આભાર માનતો પત્ર લખ્યો.
હરિપ્રસાદ વ્યાસનો ત્રીજો પત્ર 3 જાન્યુઆરી, 1992 નો લખેલો અમને મળ્યો. તેમણે પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને લખેલું, તમારા સુંદર અક્ષરોવાળો પત્ર વાંચી આનંદ થયો. નાટકના વિવિધ કલાકારોના સોએક ચરિત્રાત્મક લેખો તેમણે લખ્યા હોવાનું જણાવ્યું હતું. પત્રના અંતે તેમણે લખેલું, તમે જ્યારે અમદાવાદ આવો ત્યારે જણાવશો. થોડું ફિલ્મનું જૂનું મારી પાસેથી જાણવા મળશે. 1934 ના અરસાનું છે. આમ લખવા પાછળ બિલકુલ ઔપચારિકતા નહોતી. કેમ કે, તેમણે લખેલું, હું ઘેર જ હોઉં છું.
અમે હજી પ્રવૃત્તિ કહી શકાય એવું કોઈ કાર્ય કરતા નહોતા. ખરેખર તો, હું વડોદરા નોકરીએ લાગી ગયેલો. અને ઉર્વીશ એમ.એસ.સી.ના પહેલા વર્ષમાં હતો. સંગ્રહ કરવા તરફ અમારી રુચિ ખાસ નહોતી, પણ વધુ રુચિ સિનેમાના આરંભિક ગાળા વિશેના વાંચનની હતી. આમ છતાં, રજનીભાઈના થોડાઘણા પરિચયને કારણે અમને આ જગતનું વિશ્વરૂપદર્શન થઈ ચૂક્યું હતું.
હરિપ્રસાદ વ્યાસ સાથે આમ પત્રવ્યવહાર, અને ખરું જોતાં પત્રમૈત્રી ક્યારે સ્થપાઈ ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. મહિને એકાદ વખત તેમનું પોસ્ટકાર્ડ આવતું, જે તેમના ગરબડિયા અક્ષરોને લીધે દૂરથી જ ઓળખાઈ જતું. સહી કરતી વખતે તેઓ હરિપ્રસાદ વ્યાસનો ઘણી વાર મોટો લખતા. 17 માર્ચ, 1992 ના રોજ અમને તેમનું પોસ્ટકાર્ડ મળ્યું. તેમણે લખેલું, 54 વર્ષ પહેલાંના સિનેમાના અંકોની ફાઈલ મળી છે, જે તમને ભેટ આપવાની છે. કોઈ બીજાને હું ન જ આપું. શ્રી શશીકાન્‍ત નાણાંવટીએ પણ માગી હતી. (મેં) ના પાડી. ગમે તેમ કરી આવીને પ્રાપ્ત કરી લેશો. આટલું જણાવ્યા પછી તેમણે તાકીદ કરતા હોય એમ લખેલું, મારી તબિયત ખરાબ રહે છે. દસ દિવસ oxygen ઉપર રહ્યો. હવે સારૂં છે.
આ પત્ર અમારા માટે સુખદ આશ્ચર્ય સમો બની રહ્યો. હરિપ્રસાદ વ્યાસ અમને સામયિકના જૂના અંકો ભેટ આપવા માંગતા હતા એનું અમારે મન મહત્ત્વ હતું જ, પણ તેઓ એ અમને જ આપવા માંગતા હતા અને શશીકાંતભાઈ જેવા સિનીયર ફિલ્મ પત્રકારને સુદ્ધાં તેમણે એ આપી નહોતી એ અમારે મન વધુ મોટી વાત હતી. તેમણે પોતાની નાદુરસ્ત તબિયત અંગે પણ જણાવ્યું હતું. અમે નક્કી કરી લીધું કે મારે રજા હોય એવા કોઈક દિવસે હું અને ઉર્વીશ અમદાવાદ જઈએ, વ્યાસસાહેબને રૂબરૂ મળીએ અને આ અંકો લેતા આવીએ. એ કોઈક દિવસ આવતાં બે-ત્રણ મહિના લાગ્યા.

(હરિપ્રસાદ વ્યાસ સાથેની મુલાકાતની વાતો હવે પછી) 

Tuesday, April 17, 2018

ટાઈટલ મ્યુઝીક (7) : ઊષા ખન્નાની બે ફિલ્મોમાં સમાન ટાઈટલ મ્યુઝીક


સાવનકુમાર ટાંક (કે તક કે તાક) ફિલ્મોના નિર્માતા- દિગ્દર્શક હોવા ઉપરાંત ગીતકાર પણ છે. પોતાની ફિલ્મોનાં ઘણાં ગીતો તેમણે લખ્યાં છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં સંગીતકાર ઉષા ખન્નાનું સંગીત હોય છે.
સાવનકુમારની ફિલ્મોમાં મુખ્યત્વે સામાજિક પૃષ્ઠભૂમિ હોય છે. 1978માં તેમની એક ફિલ્મ આવેલી 'સાજન બિના સુહાગન', જેમાં ઉષા ખન્નાનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ઠીકઠીક લોકપ્રિય થયેલાં. 'કૈસે જિત લેતે હૈ લોગ દિલ કિસી કા', 'જિજાજી જિજાજી, હોનેવાલે જિજાજી', 'મધુબન ખૂશ્બુ દેતા હૈ', 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીતો વધુ જાણીતાં બનેલાં, અને આ ઉપરાંત બીજાં ત્રણ ગીતો હતાં. 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીત રેડિયો પર સાંભળતા ત્યારે એમ જ હતું કે ભાણીઓ પોતાના મામાને બર્થડે વીશ કરવા ગીત ગાતી હશે. ફિલ્મ જોતાં ખબર પડી કે 'મામા' નહીં, પણ 'મમ્મા'ને માટે એ ગીત છે.
સાવનકુમારની 1980માં રજૂઆત પામેલી અન્ય એક ફિલ્મ હતી 'સાજન કી સહેલી'. આ ફિલ્મનાં પાંચેક ગીતો હતાં, પણ તેમાં સૌથી જાણીતું બનેલું 'જિસકે લિયે સબકો છોડા, ઉસી ને મેરે દિલ કો તોડા'. આ ગીત મહમ્મદ રફી અને સુલક્ષણા પંડિતે ગાયેલું. તેના ઓપનીંગમાં અને વચ્ચે વચ્ચે વાગતા એકોર્ડિયનના પીસને કારણે આ ગીત ખાસ યાદ રહી ગયું છે.
'સાજન બિના સુહાગન'ના #ટાઈટલમ્યુઝીકનો આરંભ કોરસથી થાય છે, જે 'ઓ મમ્મા, ડીયર મમ્મા, હેપ્પી બર્થડે ટુ યુ'ની ધૂન છે. 1.03 થી વાયોલિનનો સમૂહ શરૂ થાય છે, જે ઉષા ખન્નાના 'આપ તો ઐસે ન થે'ના ગીત 'તૂ ઈસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ'ના ઈન્‍ટરલ્યુડ સાથે અમુક સામ્ય ધરાવે છે. ત્યાર પછી 1.21 થી સેક્સોફોનનો લાંબો પીસ અને ફરી ઓરકેસ્ટ્રા સાંભળવા મળે છે અને 1.48 થી શરૂ થાય છે 'મધુબન ખૂશ્બુ દેતા હૈ'ની ધૂન, જે કોઈ વાદ્ય પર નહીં, પણ કોરસ દ્વારા ગવાય છે. અને ફરી પાછો છેક સમાપન સુધી તંતુવાદ્યસમૂહ સંભળાય છે.
નીચે આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.



**** **** **** 

નવાઈ લાગે એવી વાત એ છે કે 'સાજન કી સહેલી' ફિલ્મમાં પણ ઉષા ખન્નાએ 'સાજન બિના સુહાગન'ની આખેઆખી ટાઈટલ ટ્રેક, સહેજ પણ ફેરફાર કર્યા વિના એમની એમ મૂકી છે. આમ કરવાનું શું કારણ હશે એ ખબર નથી. સાવનકુમાર અને ઉષા ખન્ના બન્ને હજી હયાત છે, પણ તેમને મળીને આ પૂછવું અથવા તો આટલું પૂછવા માટે તેમને મળવું મુશ્કેલ છે.
અહીં 'સાજન કી સહેલી' ફિલ્મની લીન્‍ક આપી છે, જેથી તેના ટાઈટલ ટ્રેકમાં વાગતાં 'સાજન બિના સુહાગન'નાં ગીતોની ધૂનોનો ખ્યાલ આવે.
આ ક્લીપમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક છે.



Saturday, March 31, 2018

ખુવાર થવાનો રાજમાર્ગઃ હીક્


(ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતા ગામીતે પોતાના લોકો અને પોતાના વિસ્તાર વિશે, તેમના સ્વચ્છતાના અભિગમ વિશે  અહીં લખ્યું હતું. આ વખતે તેણે પોતાના વિસ્તારના એક અતિ ગંભીર પ્રશ્નની વાત કરી છે.) 

- સુનિતા ગામીત

આદિવાસી સમાજનો દારૂ સાથે પહેલેથી જ નાતો જોવા મળે છે. ગામીત જાતિના કુળદેવી દેવમોગરા માતાને દારૂ ચઢાવવાની વર્ષો જૂની પ્રથા છે, જે આજે પણ ચાલુ જ છે. પરંતુ દારૂ ચઢાવવાની વ્યવસ્થા અલગ હોય છે. ચઢાવાનો દારૂ મૂર્તિ પાસે નહિ, પરંતુ નિશ્ચિત કરેલા સ્થળે જ ચઢાવવાનો રિવાજ છે. આદિવાસી સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂનો પ્રસાર પણ બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક એવી માન્યતા પણ પ્રવર્તે છે કે વ્યસન કરવાથી કોઇ નુકસાન થતું નથી. પેઢી દર પેઢીથી વ્યસન ચાલ્યું આવે છે. બાપદાદાઓ વ્યસન કરતા હતા અને અમે પણ કરીએ છીએ ને તોય હજુ જીવીએ છીએ.
દેશી દારૂ બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં મહુડાનાંં ફુલની સાથે દેશી ગોળ ઉમેરવામાં આવતો. આ પ્રકારનો મહુડાનો દારૂ પીવાથી પીનારને નુકસાન થવાની સંભાવના ઓછી રહેતી. મહુડાનાંં ફુલના ગુણ ઘણા છે. આ ફુલને કાચા ખવાય, શેકીને ખવાય, મહુડાના ફુલનો લાડુ પણ બને. પરંતુ  તેના ગુણોને બદલે મહુડાના 'પહેલી ધાર' ના દારૂનો આસ્વાદ લેવાનું ચલણ વધુ છે.  હાલમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં મહુડાનાંં  ફુલ તેમજ ગોળ ઉપરાંત પીનારને 'કીક' આવે તે માટે સલ્ફેટ ખાતર, ખેરની છાલ, સાદડાની છાલ, ખાખરાની છાલ, ચિલરની છાલ વગેરે ઉમેરવામાં આવે છે. જરૂર પડે તો નશીલા પાવડરનો પણ ઉપયોગ થાય છે. આ બધા કારણોસર પીનારમાં લીવરની બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. અમારા વિસ્તારના નશો કરતા પુરૂષોને આંતરડામાં સોજા ચઢવાની બીમારી પણ ઘણી જોવા મળે છે.
મહુડાનાં ફળો  (*)
આદિવાસી સમાજમાં વ્યસનનું પ્રમાણ પુરૂષોમાં વધુ અને સ્ત્રીઓમાં સૌથી ઓછું જોવા મળે છે. સ્ત્રીઓમાં બીડી કે તપકીરનું પ્રમાણ પહેલા કરતા ઓછું જોવા મળે છે. ગરીબી અને દારૂ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાન્યતઃ ગરીબ આદિવાસીઓ આખો દિવસ કઠોર પરિશ્રમ કરીને સાંજ પડતાંં ઘેર આવે ત્યારે ખૂબ થાક અનુભવતા હોય છે. તેમની માન્યતા એવી છે કે આખા દિવસનો થાક દૂર કરવા સાંજે દારૂ પીવો જ પડે. દારૂ પીધા પછી નશીલી અવસ્થામાં તેઓ થાક અનુભવતા નથી અને નિરાંતે ઉંઘી શકે છે. કેટલાક દારૂના વ્યસનીઓને પૂછતાં એમ જાણવા મળ્યું કે તેઓ રોજ દારૂ ન પીવે તો તેમને શરીરમાં ધ્રુજારી અનુભવાય છે, દારૂ પીધા વિના તેઓને કોઇ જ કામ કરવાની ઇચ્છા થતી નથી. એ લોકોને સતત દારૂ પીવાની તલપ લાગી હોય છે.
દારૂનું સેવન કરવાથી સોનગઢ વિસ્તારમાં ફક્ત ૪૦ વર્ષના ઘણા પુરૂષોની હાલત એવી ગંભીર બની ગઇ છે કે કોઇ પણ કાર્ય કરતાંં તેના હાથ ધ્રુજવા લાગે છે. તેઓ શરીરનું બેલેન્સ પણ જાળવી શકતા નથી. આદિવાસી વિસ્તારોમાં દારૂનું વ્યસન ગંભીર સમસ્યા બની ગઇ છે. ઘણા યુવાનો દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં અકસ્માત કરીને મોતને ભેટ્યા છે, અપંગ બન્યા છે. ઘણાં કુટુંબોએ પિતા, પુત્ર, ભાઇ કે પતિ ગુમાવ્યો છે. ક્યારેક નશાની હાલતમાં સુરત, ઉધના જેવા શહેરમાં કામ પર જતી વખતે ચાલુ ટ્રેનમાં ચઢતાંં, ઉતરતાંં અથવા દરવાજા પર લટકીને જતી વખતે યોગ્ય બેલેન્સ ન જાળવી શકતાંં મોતને ભેટતા હોય છે. તો ક્યારેક ગંભીર શારીરિક ઇજા થતા સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાય છે.
ઘરમાં પિતા વ્યસન કરીને ઘરમાં, પાડોશી સાથે કે અજાણી વ્યક્તિઓ સાથે ઝગડો કરે છે ત્યારે સૌથી વધુ શરમ તેમના બાળકો અનુભવે છે. દારૂડિયાઓનાંં બાળકોને શાળામાં તેમજ ગામમાં તેમના પિતાના વ્યસન અંગે વારેવારે અહેસાસ કરાવવામાં આવે છે જેને કારણે તે બાળકો એકલતા અનુભવે છે અને અંદરોઅંદર મુંઝાય છે. આ પરિસ્થિતિને કારણે આવા બાળકો પર લાંબા ગાળા સુધી માનસિક અસર રહે છે.

પહેલી ધારનો.... (**)
દારૂની બદી ફેલાઇ છે તેનું એક કારણ ખોટું મિત્રવર્તુળ પણ છે. એવું જોવા મળ્યું છે કે કુટુંબમાં કોઇ વ્યસન ન કરતું હોય, પરંતુ મિત્રવર્તુળને કારણે દારૂ પીવાનો વારંવાર આગ્રહ કરવામાં આવે. આ રીતે ઘરની બહાર મિત્રો સાથે છુપી રીતે શોખ ખાતર દારૂ પીવાની ટેવ ધીમે ધીમે કાયમી વ્યસનમાં પરિવર્તિત થાય છે.
આદિવાસી વિસ્તારોના ગામોમાં ચારથી પાંચ દારૂની ભઠ્ઠીઓ જોવા મળે છે. તે ઉપરાંત ત્રણથી ચાર સ્થળોએ વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે. વિદેશી દારૂના ફેલાવાનું મોટું કારણ એ છે કે સોનગઢને અડીને જ મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી પરમીટવાળી દુકાનોમાંથી છાપેલા ભાવે આસાનીથી જોઇતી બ્રાન્ડ મળી રહે છે. કેટલાક કુટુંબોમાં તો સવારથી જ ચાને બદલે દારૂ પીવાનો શરૂ થઇ જાય છે. સવારથી જ નશો કરીને કેટલાક લોકો ખેતીકામ કરવાને બદલે ઘરની બહાર કે ખેતરે જઇને આરામ કરતા હોય કે રસ્તાની બાજુમાં ખુલ્લેઆમ પડી રહેતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં દારૂની બદી એટલી બધી ફેલાઇ છે કે દારૂ ખરીદવા માટે જરૂર પડે તો ઘેરથી રુપિયા ચોરી કરે, રુપિયા માટે પત્ની સાથે ઝગડો કરીને તેને માનસિક-શારીરિક ત્રાસ આપે અથવા તો ઘરનાની જાણ બહાર પત્નીના ઘરેણાં પણ વેચી નાખે. ઉધારમાં સતત દારૂ પીવામાં દેવુ વધી જાય તો ઘરનાને જાણ કર્યા સિવાય પોતાની જમીન પણ વેચી નાખે. આ બધી વાતનો ફાયદો ગામમાં રહેલા શાહુકારો ઉઠાવે છે અને સાવ ઓછા ભાવે આદિવાસીની જમીનો પડાવી લે છે. મોટા ભાગના આદિવાસીઓ પાસે પોતાની જમીન હોવા છતાં તેમાં વૈજ્ઞાનિક ઢબે વધુ પાક લેવાના પ્રયત્નો કરવાને બદલે દારૂ પાછળ રુપિયા ખર્ચે છે.

એ જાણીને નવાઇ લાગશે કે ખેતરમાં કામ કરવા માટે મજૂરની જરૂરિયાત હોય તો દારૂની ભઠ્ઠીવાળાને કહેવડાવવું પડે છે કે ફલાણા ભાઇને ત્યાં ખેતમજૂરીનું કામ છે તે માટે આટલા-તેટલા મજૂરો જોઇએ છે. કહેવાનો મતલબ એ છે કે મજૂરભાઇઓને સવાર સવારમાં દારૂની ભઠ્ઠી પર શોધવા જાવ તો તેઓ ત્યાં જ  મળી જાય, ઘેર નહીં.

આખા દિવસની તનતોડ મજૂરી કર્યા પછી ફક્ત રૂ.100 થી 120 મળે. તેમાંથી સવાર-સાંજના રૂ.20-20 દારૂની પોટલી પાછળ વેડફવામાં આવે એટલે તેઓ ક્યારેય બચત કરી શકે નહિ અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ક્યારેય બદલાય નહિ.

ઘેર ઘેર ફેલાયેલી દારૂની બદીથી કંટાળીને ગામની મહિલાઓએ દારૂના વ્યસન વિરોધી ઝુંબેશ ઉઠાવી હતી પરંતુ ગામના પુરૂષો તેમ જ શિક્ષિત યુવાનોએ તેમાં કોઇ જ સાથ ન આપ્યો એટલે કશો ફેર ન પડ્યો. મારા જાણવા મુજબ સતત દારૂ પીવાને કારણે દર વર્ષે ગામમાં 4 થી 6 પુરૂષો મૃત્યુ પામે છે. અમારા આદિવાસી સમાજમાં છૂટાછેડા, ત્યક્તા અને વિધવાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે આદિવાસી સમાજમાં વિધવાવિવાહ પહેલેથી જ માન્ય છે. તેથી સ્ત્રી પતિની હયાતીમાં કે મૃત્યુ પછી બીજા લગ્ન પોતાની મરજી મુજબ કરી શકે છે.
આજે સોનગઢ વિસ્તારના મોટાભાગના યુવાનો આ વ્યસનને રવાડે ચઢી ગયા છે. શિક્ષણ લેવાની ઉંમરે વ્યસન કરતા થઇ ગયા છે. ધાર્મિક તહેવારો ઉપરાંત લગ્નપ્રસંગે પણ આજના યુવાનો દારૂને 'ફેશન' તરીકે અનિવાર્ય ગણે છે. લગ્ન પ્રસંગોમાં તો દારૂની રેલમછેલ હોય છે. વર્ષગાંઠ જેવી પાર્ટીઓમાં પણ દારૂ પીવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. ઘરમાં કે કુટુંબમાં કોઇ કારણે બોલાચાલી થાય તો યુવાનો એ ઘટનાને ભૂલવા માટે દારૂનો સહારો લેતા થઈ જાય છે, જે બહુ ઝડપથી વ્યસનમાં પરિણમે છે. દારૂની સાથે સાથે જ સિગરેટ અને ગુટખાએ પણ યુવાનો પર કબજો કર્યો છે. ચૂંટણી વખતે તો દરેક ગામોમાં દારૂની રેલમછેલ જોવા મળે છે જેને કોઇ જ અટકાવી શકતું નથી.
આદિવાસી વિસ્તારોમાં જે લોકો શિક્ષિત બન્યા છે તેમનામાં સામાન્યપણે દારૂ પીવાની બદી જોવા મળતી નથી. પરંતુ હજુ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં નથી આવતા. તેઓ મુશ્કેલીથી પ્રાથમિક શિક્ષણ પુરૂં કરી શકે છે. ત્યારબાદ આ બાળકોને મા-બાપ સાથે મજૂરીકામમાં જોડવામાં આવે છે. ઘરમાં મા-બાપ દ્વારા જ દારૂ, સિગરેટ, બીડી, ગુટખા, તમાકુનું સેવન થતું જોઇને બાળકો પણ ચોરીછુપીથી એના રવાડે ચઢે છે અને ધીમે ધીમે તેની આદત પડી જાય છે.
આદિવાસી સમાજમાં વધતા જતા વ્યસનના પ્રમાણમાં ઘટાડો થવો જરૂરી છે. કારણ કે યુવાપેઢી જો આવા ખોટા રવાડે ચઢી જશે તો કુટુંબ, સમાજ કે ગામની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાય નહિ. તંદુરસ્ત આદિવાસી કુટુંબ કે સમાજનું સપનું સાકાર કરી શકાય નહિ. દારૂના વ્યસનને કારણે આદિવાસી સમાજમાં બે પ્રકારની અસરો જોવા મળે છે.

લાંબા ગાળાની અસરોની વાત કરીએ તો વારંવાર દારૂનું સેવન કરવાથી લીવરની બીમારી શરૂ થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે એટલે અન્ય રોગના આક્રમણની શક્યતા વધતી જાય છે. ગુટખા, બીડી, સિગરેટના સેવનથી કેન્સર તથા હૃદયરોગની બીમારીઓ જોવા મળે છે. ઉપરાંત ક્ષયરોગ પણ જોવા મળે છે જેનો ચેપ ઘરના બીજા સભ્યોને લાગે છે. દારૂને કારણે પીનારના આરોગ્ય પર ગંભીર અસરો પડે છે જેને કારણે આયુષ્ય ટૂંકાય છે.
ટૂંકા ગાળાની અસરોની વાત કરીએ તો દારૂ પીનાર વ્યક્તિ સભાનતા ગુમાવે છે. ખાસ કરીને તેના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. રોજના નિયત સમયે દારૂ ન મળે તો તેના શરીરમાં નબળાઇ આવી જાય છે. દારૂ ન મળે ત્યારે વ્યક્તિને કામમાં રૂચિ ન લાગે, તેનું શરીર દુઃખે, માથું દુઃખે તેવી ફરિયાદો કરે છે.
Related image
મહેનતની કમાણી, દારૂમાં સમાણી (***) 
સમાજમાં પરિવારો વિખરાવાનું કારણ પણ દારૂ જ છે. પુરૂષો દારૂ પીને વારંવાર ઘરમાં ઝગડા કરે છે, વગર કારણે ઘરના જ બાળકોને ગાળો આપે છે જેને કારણે કુટુંબના બીજા સભ્યો અને પાડોશીઓ હેરાન થાય છે. કેટલાક પરિવારમાં આવા વાતાવરણથી કંટાળીને બાળકો નાની વયે જ ઘરેથી ભાગીને શહેરમાં મજૂરી કરવા નીકળી જતા હોય છે અને ભણતર છોડી દેતા હોય છે. ક્યારેક તો એવું બને છે કે મજૂરી કરીને કમાયેલા રુપિયા વ્યસનોમાં જ ઉડાવી દેવામાં આવે છે એને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ હંમેશા નબળી જ રહે છે. દારૂની કુટેવને કારણે બાળકોને ભણાવી શકતા નથી તેમ જ આખું જીવન દેવામાં જ ગુજરે છે. અમુક કિસ્સાઓમાં તો વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી દેવુંં ચૂકવી શકાતું નથી. પતિના મૃત્યુ પછી તેની વિધવા અને બાળકો દેવાનો ભોગ બને છે. આ બધાને કારણે કુટુંબો વિખરાતા જાય છે.
વિધિની વક્રતા એ છે કે દર વર્ષે ફેબ્રુઆરીથી શરૂ કરીને વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની ભયંકર તંગી સર્જાય છે. પરંતુ દારૂની નદીઓ બારે માસ વહે છે!
મારા મતે દારૂની બદી દૂર કરવાની નૈતિક જવાબદારી ગામલોકોની જ છે. હાલમાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા માટે સહુએ સાથે મળીને લાંબા ગાળાની વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી પડે. આ માટે તમામ સંગઠનોએ એક બનીને ગામડાઓમાં આવીને વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી અનિવાર્ય છે.
શહેરી અને ગ્રામીણ વચ્ચેનો ભેદ દારૂ પીવાની બાબતે પણ જોવા મળે છે. શહેરી સમાજના સુધરેલા લોકો વિદેશી દારૂ પીવે તેને 'ડ્રિંક્સ લીધું' એમ કહીને ફેશનમાં ખપાવાય, જ્યારે ગામડાના લોકો કઠોર પરિશ્રમ પછી ગરીબીનો કાયમી થાક ભૂલવા દેશી દારૂ પીવે તો 'પોટલી પીધી' કે 'દારૂડિયા' કહીને તેઓને ઉતારી પાડવામાં આવે. દારૂ પીનાર દરેક વ્યક્તિ --  ભલે ને પછી તે શહેરી હોય કે ગ્રામીણ -- દારૂડિયો જ છે. નવો તંદુરસ્ત સમાજ રચવા દારૂની બદીમાંથી કોઇ પણ હિસાબે બહાર નીકળવું જ પડે. વ્યસનમુક્તિની ઝુંબેશ સામુહિક રીતે શરૂ કરવી પડે અને અટક્યા વિના લાંબા સમય સુધી ચલાવવી પડે.
આ લેખ લખતી વખતે એવો પણ પ્રશ્ન થાય છે કે આ બદી દૂર કરવાનો ઉકેલ શો? એક સમાજશાસ્ત્રી તરીકે મને લાગે છે કે દારુના દૂષણમાંથી સમાજને બહાર કાઢવો હોય તો ગામડાઓની મહિલાઓએ સાથે મળીને પહેલ કરવી પડે. સૌએ પહેલ પોતાના ઘેરથી જ કરવી પડે. તેમાં એકલદોકલ પહોંચી ન વળાય એવી શક્યતા ખરી. એ સંજોગોમાં સંગઠન મદદરૂપ થઈ શકે. હિંમતભેર પુરુષોની સામે પડીને ઝુંબેશ ચલાવવી પડે અને તેમને સમજાવવું પડે કે આ તેમના જ હિતમાં છે. આ માટે ગામેગામ ફેલાયેલાં સખીમંડળોની બહેનો પોતાના સંગઠનનો સુપેરે ઉપયોગ કરી શકે, ગામની અને આસપાસનાંં ગામોની બીજી મહિલાઓને સમજાવી શકે, જાગૃતિ ફેલાવી શકે. હું પોતે આદિવાસી હોવાના નાતે મહિલા સંગઠનોમાં દારુના વ્યસનને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવવાની કોશિશ કરતી રહું છું અને આદિવાસી વિસ્તારોમાંથી આ દૂષણને દૂર કરવા સૌનો સાથ લેવા માટે કટિબધ્ધ છું.

(તસવીર: * સુનિતા ગામીત । **ઈશાન કોઠારી । *** નેટ પરથી)

Wednesday, February 28, 2018

ભંડારદરા: સહ્યાદ્રિમાં આવેલો ખીણનો ભંડાર


શચિ કોઠારી 

(જાન્યુઆરી, 2018ના મધ્યમાં અમે મહારાષ્ટ્રના ભંડારદરા હીલસ્ટેશને ગયાં હતાં. પરેશ પ્રજાપતિના પરિવાર સાથેનો આ અમારો આઠમો સફળ પ્રવાસ હતો. નાશિક-ઈગતપુરીની વચ્ચે આવેલા સહ્યાદ્રિની ગિરિમાળામાં આવેલા આ અદ્‍ભુત સ્થળનું આગવું સૌંદર્ય છે. અહીં તેનો તસવીરી અહેવાલ મારી દીકરી શચિએ તૈયાર કર્યો છે.) 


સવારે વહેલા નીકળેલા અમે સાપુતારા-નાશિક વટાવીને સાંજે ભંડારદરા પહોંચ્યા. આ સ્થળના નામ અને ઈન્ટરનેટ પર વાંચેલી માહિતીથી વધુ કંઈ જ અમને ખબર નહોતી. સાંજે પહોંચ્યા પછી બીજા દિવસે અમે નજીક નજીકમાં ચાલતા ફરવાનું નક્કી કર્યું. સવારથી સાંજ અમે ટહેલતા રહ્યા. આટલી ઊંચાઈએ અહીં બનાવાયેલો વીલ્સન ડેમ જોયો. તેની પાછળ બનેલું જળાશય એટલે આર્થર લેક. તેમાં અમે બોટિંગ કર્યું. 
આ વિસ્તારમાં પુષ્કળ ખીણ (દરા) હોવાથી તેનું નામ 'ભંડારદરા' (ખીણનો ભંડાર) પડ્યું હોવાનું અમને જાણવા મળ્યું. 


વીલ્સન ડેમ 

વીલ્સન ડેમની આગળ આવેલો બગીચો 

આર્થર લેક પર સાંજ 

આર્થર લેકમાં બોટિંગ 
એ દિવસે અમને ત્યાં રહેતા એક ગાઈડ દયારામ મળી ગયા. તેઓ પોતાને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ કરી આપતા હતા. અસલ મરાઠી ભોજનની ગોઠવણ થઈ એટલે બહુ મઝા આવી. પછીના દિવસે દયારામ અમારી સાથે આવવાના હતા. આ પર્વતમાળામાં કુલ 55 કિ.મી.નો આખો રુટ છે. અમારે સવારથી સાંજ સુધી ત્યાં ફરવાનું હતું. મોટા ભાગના રસ્તે આર્થર લેક ફેલાયેલું દેખાતું હતું. 

આર્થર લેક 

ટેબલટોપ નામની સપાટ જગ્યા 

લોઅર લેક 

સંધાન વેલી 

સંધાન વેલી, એટલે એવી ખીણ જ્યાં આગળ જતાં સામસામી
દેખાતી બેે ખીણોનું 'સંંધાન' થાય છે. 
રતનગઢ પાસે આવેલું પૌરાણિક અમૃતેશ્વર મંદિર   


અમૃતેશ્વર મંદિરની બહાર આવેલો વિષ્ણુકુંડ 

અમૃતેશ્વર મંદિરની કળા
ત્રીજા દિવસે અમે ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું હતું. અહીં ઘણા પર્વતો છે. અમે રતનગઢ પર જવાનું નક્કી કર્યું કેમ કે, ત્યાં ટોચ પર કિલ્લો આવેલો છે. આ ટ્રેકના રસ્તે આવેલાં દૃશ્યો.  

ભંડારદરાનો સૂર્યોદય

વીલ્સન ડેમની સમાંતરે રસ્તા પર 

 ઢોળાવવાળા રસ્તે


રતનગઢના રસ્તે


ઉંચાઈ પરથી દેખાતું દૃશ્ય

રતનગઢ પરથી દેખાતા અન્ય પહાડો 

રતનગઢના કિલ્લાનો એક ભાગ 

રતનગઢ પરથી દેખાતું દૃશ્ય 

રતનગઢ
સ્થાનિકોએ અમને કહ્યું કે ભંડારદરાની ખરી મઝા ચોમાસામાં હોય છે, જ્યારે અહીં અનેક ઝરણાં અને ધોધ વહે છે. હવે આ સ્થળે શનિ-રવિ દરમિયાન ઘણા પ્રવાસીઓ આવે છે. અમે અહીં ત્રણ દિવસ આખા ગાળ્યા અને રખડપટ્ટીની પૂરી મઝા લીધી. 

Wednesday, February 7, 2018

આદિવાસી સમાજ અને સ્વચ્છતા: પુરાની પહચાન


(આ લેખ મુખ્યત્વે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારને અનુલક્ષીને લખાયેલો હોવાથી એ રીતે વિશિષ્ટ છે, પણ તેની બીજી વિશિષ્ટતાની વાત વધુ અગત્યની છે. ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ રીતે કાર્યરત મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં વખતોવખત અહેવાલ આપતા રહે છે. સુનિતાના પરિવાર વિશેનો ઉત્પલે લખેલો એક અહેવાલ અહીં  વાંંચી  શકાશે.  પણ આ વખતે ખુદ સુનિતાએ પોતાના વિસ્તારનો આ અહેવાલ લખી મોકલ્યો છે. માંડ ત્રેવીસની સુનિતા ગામીત મહિલા સશક્તિકરણનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતાની સંઘર્ષયાત્રાની રોમાંચક કહાણી પણ ક્યારેક અહીં આલેખીશું. તેણે લખેલો આ લેખ 'શહેરી' અને 'સુધરેલા' ગણાતા લોકોને વિચારવા પ્રેરે એવો છે.)

- સુનિતા ગામીત (એમ.ફિલ. - સમાજશાસ્ત્ર)


માનવજીવનમાં સ્વચ્છતા ખૂબ જ પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ પણ વખતોવખત સમગ્ર દેશને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોને શાળાજીવનથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાય તે રીતે ભણાવવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું 'સ્વચ્છ ભારત' અભિયાન શરૂ કર્યું છે, જેનું સૂત્ર છે -- "એક કદમ સ્વચ્છતા કી ઓર".

આ પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષે થોડી છણાવટ કરવી છે. હું સોનગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના સાવ નાના એવા ખાંજર ગામની વતની છું અને ગામીત સમાજમાંથી આવું છું. આથી મારા વતનની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ, સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવા અંગેના કાર્યક્રમો વિશે વાત કરવા માંગું છું.

સોનગઢ તાલુકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે, જેમાં ગામીત, ચૌધરી, વસાવા આદિવાસીઓનું પ્રમાણ વધુ અને કોટવાળીયા, ભીલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિસ્તારના ગામડાઓમાં મોટા ભાગે ચોક્ખાઈ જોવા મળે છે. ગામડાઓનાં મોટા ભાગનાં ઘરોની બહારની પરસાળ અને આજુબાજુની જમીનમાં સ્વચ્છતાનું રીતસર સામ્રાજ્ય નજરે પડે. એટલે સુધી કે ગાય-ભેંસ બાંધવાની જગ્યાએ પણ દિવસમાં ઘણી વખત સફાઈ કરવામાં આવે છે. આજની તારીખે પણ આદિવાસી સમાજમાં ભણતરનું પ્રમાણ ઓછું છે, એમાંય કન્યા કેળવણી તો સાવ ઓછી છે. છતાં ઓછું ભણેલા આદિવાસીઓ પોતાનું ઘર-ફળિયું ચોક્ખા રાખે છે, તે ખૂબ આનંદની વાત છે. નરી આંખે દેખાતી આ સ્વચ્છતા એ વાતની સાબિતી છે કે ભણતર વિના કે ઓછા ભણતર સાથે પણ આદિવાસી સમાજમાં પેઢી દર પેઢીથી સ્વચ્છતાનું મહત્વ ચાલ્યું આવે છે. સ્વછતાના અભિગમને અક્ષરજ્ઞાન સાથે લેવાદેવા નથી.
ખાંજર ગામનું સ્વચ્છ પરિસર 
શહેરી લોકો સામાન્યપણે આદિવાસી સમાજને 'પછાત'નું લેબલ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ કહેવાતો પછાત સમાજ કે ગામડાના ઓછું ભણેલા લોકો શહેરી સમાજની સરખામણીએ સ્વચ્છતાના વધુ આગ્રહી હોય છે. અમારા ખાંજર ગામની આસપાસના ગામોની સ્વચ્છતા જોઇએ અને તેની સરખામણીએ તાલુકા મથક સોનગઢ, એથી આગળ જતાં જિલ્લા મથક વ્યારા અને એથી પણ વધુ આગળ જતાં સુરત મહાનગર જુઓ! શહેર તરફ આગળ વધતા જઈએ  તેમ તેમ ગંદકીનું પ્રમાણ વધતું જતું લાગે. આ જોઈને સવાલ ઉઠે કે ખરેખર પછાત કોણ? શહેરીઓ કે ગ્રામીણ?
અમારી તરફના ગ્રામીણ સમાજમાં પાણીનો પ્રશ્ન મોટી સમસ્યારૂપ છે, કારણ કે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. કેટલાંક એવાં ગામો છે કે જ્યાં લોકો એક કિ.મી. દૂર ચાલીને પાણી લેવા જાય છે. સરકારના પ્રયાસો દ્વારા ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા નળની સગવડ કરી આપવામાં આવી છે. પરંતુ એ નળ ઘરઆંગણે શોભા વધારવા સિવાય કોઈ કામનો નથી. તેમાં પાણી આવે તેવી જોગવાઈ  નથી એટલે લોકોને ઉપયોગી નથી. તેમ છતાં લોકો પાણીનો પોતાની સૂઝથી સદુપયોગ કરે છે. આદિવાસીઓના રોજિંદા જીવનમાં પાણીનું ઘણું જ મહત્વ છે.

આદિવાસી સમાજ માટે અન્ય એક ખોટી છાપ પણ પ્રચલિત છે. હું એ કહેવા માગુ છું કે શહેરી સમાજ માટે આદિવાસી એટલે મેલોઘેલો પહેરવેશ અને અસ્વચ્છતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિવાસી લોકોનું રોજિંદું કાર્ય ખેતરમાં મજૂરી કરવાનું કે બાંધકામ ક્ષેત્રે મજૂરીકામનું હોય છે. તેઓ સવારથી સાંજ સુધી કઠોર પરિશ્રમ કરતા હોય છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોય છે. મહેનત કરીને જે વેતન મળે છે તેના થકી જ ઘરસંસાર ચલાવવાનો હોવાથી તેમની પાસે વધુ કપડાની સુવિધા હોતી નથી. (સામાન્ય રીતે રોજ પહેરવાના કપડાંની બે જોડી અને બહાર જવા એક જોડી કપડાંં, એમ ત્રણ જોડી બહુ થઈ ગઈ.). એટલે કામ સમયે એ લોકો જે કપડાં પહેરે છે તે કામ પૂરતા અને ૨-૩ દિવસ ચલાવતા હોય છે. આથી આદિવાસી અસ્વચ્છ અને ગંદા તેવી ધારણા તદ્દન ખોટી છે. દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ રાખે જ છે, કારણ કે આદિવાસી પ્રથમ તો માણસ છે, જેને સ્વચ્છતા અન્યો જેટલી જ પસંદ છે.
ખેતમજૂરીમાં મદદ કરી રહેલી સુનિતા 
નોંધવાલાયક મુદ્દો એ છે કે હજુ હમણાં સુધી સોનગઢ વિસ્તારના ગામોમાં શૌચાલયની સગવડ નહોતી. લોકોએ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડતું હતું. એ વિસ્તારનાં ઘણા ગામોમાં, અનેક ઘરોમાં જુદાજુદા કારણોસર આજે પણ ઉપયોગ કરી શકાય તેવા શૌચાલય નથી. છતાં ગામોમાં ગંદકીનું પ્રમાણ સાવ ઓછું છે. તેના કારણે મચ્છરોનો ત્રાસ અને મચ્છરજન્ય રોગો પણ શહેરની તુલનાએ ઓછા જોવા મળે છે. તેની સામે તાલુકા મથકો, જિલ્લા મથકો, અને મોટા શહેરોમાં ઘેરઘેર શૌચાલયની સગવડ છતાં ઠેરઠેર દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

અમારા વિસ્તારમાં આશ્રમશાળાઓનું મોટું પ્રમાણ છે. હું પોતે પણ આશ્રમશાળામાં ભણેલી છું. બાળપણથી જ આશ્રમશાળામાં રોજના 'ટુકડી કાર્ય' દ્વારા સ્વાવલંબન અને તેના થકી સ્વચ્છતાનું શિક્ષણ આપવામાં આવે છે, જે હવે શહેરની કોઇ પણ શાળામાં અપાતું નથી તેવું મારું માનવું છે. 'સ્વાવલંબન થકી સ્વચ્છતા અંગેની જાગૃતિ' પણ સંશોધનનો એક વિષય બની શકે એમ છે.

સમાજશાસ્ત્રની સંશોધક હોવાના નાતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે 'સ્વચ્છતાના સમાજશાસ્ત્ર' અંગે નવું સંશોધન કરવાનો સમય પાકી ગયો છે. ખરું જોતાં તો વધુ ભણતર એટલે વધુ સમજશક્તિ અને એટલે વધુ સ્વચ્છતા -- એમ થવું જોઇએ. એટલે કે શહેરી સમાજ વધુ ભણેલો છે, તેમનામાં ગ્રામીણ લોકો કરતાં વધુ સમજશક્તિ છે એમ તેઓ માને છે  તેથી શહેરોમાં ગંદકીનું પ્રમાણ નહિવત હોવું જોઇએ. હકીકતમાં ઉલટું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં ઓછું ભણતર હોવા છતાં સ્વચ્છતા અંગે લોકોની સમજણ કે વિચારો સ્પષ્ટ છે. તેથી સ્વચ્છતાનું પ્રમાણ શહેરની સરખામણીએ ઘણું જ વધુ છે. 'સમજશક્તિ અને જાગૃતિ કેવળ ભણતર પર આધારિત નથી.' આ મારું પ્રાથમિક તારણ છે. આ વિષય પર વધુ સંશોધન જરૂરી છે.

એક વ્યક્તિ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી જ કરે તો સૌ પ્રથમ ઘર, આડોશપાડોશ, ગામ, આસપાસનાં ગામો, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટે વિશ્વસ્તરે સ્વચ્છતા ફેલાય.

(તસવીરો: ઉત્પલ ભટ્ટ)